ભક્તિ, બળવો અને વ્યથાનું સંગીત
આધુનિક રંગભૂમિના ઇતિહાસમાં કેટલીક એવી કૃતિઓ આવે છે જે માત્ર નાટક રહી જતી નથી, પરંતુ એક સાંસ્કૃતિક અને ભાવનાત્મક અનુભવ બની જાય છે. સંગીત દેવબાભલી એવું જ એક અદભુત નાટક છે. ભક્તિ, સંગીત, સ્ત્રીવેદના, લોકપરંપરા અને માનવીય સંબંધોની ઊંડાણભરી સમજ સાથે આ નાટકે મરાઠી રંગભૂમિને નવી ઊંચાઈ આપી છે. પ્રાજક્ત દેશમુખ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત આ નાટકનું મૂળ સંત તુકારામના જીવનમાં છે, પરંતુ તેનું કેન્દ્ર તુકારામ નથી. એ છે આવલી અને રુખમાઈ. એક સંતની પત્ની અને એક ભગવાનની પત્ની. સદીઓથી આપણે સંતોની મહિમા સાંભળતા આવ્યા છીએ. તુકારામની ભક્તિ, તેમની વૈરાગ્યવૃત્તિ અને વિઠ્ઠલ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા મહારાષ્ટ્રની સંસ્કૃતિનો અગત્યનો ભાગ છે. પરંતુ દેવબાભળી એક એવો પ્રશ્ન પૂછે છે જેને ઇતિહાસે ક્યારેય ખાસ જગ્યા આપી નહોતી. સંત મહાન બને છે, પરંતુ તેમની પાછળ રહી ગયેલા લોકોનું શું? આ પ્રશ્નથી જ નાટકની શરૂઆત થાય છે. આવલી તુકારામની પત્ની છે. ગરીબી, ભૂખ, ઘરના ભાર અને એકલતામાં જીવન જીવતી સ્ત્રી છે. પતિ તો ભગવાનમાં એટલા લીન છે કે ઘર, પત્ની પ્રત્યેનું તેમનું ધ્યાન ગાયબ થઈ ગયું છે. આવલીના જીવનમાં પ્રેમ કરતા...