ઔરંગાબાદ ડાયરી
🔴 લોકો, એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રહેનાર લોકોએ અજંટા ઈલોરા ગુફા ન જોઈ હોય એવું બને જ નહીં. કારણ એટલું કે આજથી ચાર પાંચ દાયકા પૂર્વે વિદેશ ફરવા જવાનું ચલણ નહોતું. એ સમયે પ્રવાસ એટલે આબુ દેલવાડાના દહેરાં કે પછી અજંતા ઈલોરા, બહુ ફોરવર્ડ લોકો ઠેઠ કાશ્મીર ફરવા જતાં એમ કહેવાતું. શાળા કે કોલેજની ટ્રીપ પણ આ જ સ્થળો પર જતી. કોઈકવાર દક્ષિણ ભારતના ભવ્ય મંદિર પર પણ પસંદગી ઉતરે . છતાં મોટેભાગે પર્યટનનું સ્થળ ખાસ દૂર ન હોય તે પહેલી પસંદ રહેતું. એટલે મને કોઈ એવી વ્યક્તિ નહોતી મળી જેને આ ગુફાઓ ન જોઈ હોય. વર્ષો પૂર્વે સ્કૂલમાં ભણતાં હતા ત્યારે અમારી સ્કૂલમાંથી પણ અજંટા ઈલોરાના પ્રવાસનું આયોજન થયું હતું. તે વખતે હતા પ્રાઈમરી સ્કુલમાં. એટલે ઘરમાં પરિષદ ભરાઈ , આટલે દૂર કંઈ ફરવા જવાય ? અલબત્ત, એમાં વડીલોનો વાંક નહોતો. તેમની ચિંતા અસ્થાને નહોતી. ઉંમર ખરેખર નાની હતી અને જો ત્યારે જોઈ પણ હોતે તો ડેલીએ હાથ દઈને આવવા જેવો ઘાટ થયો હોત . અજંતા ઈલોરા આ બે નામ મનના કોઈ ખૂણે ધરબાયેલાં રહ્યા. મુંબઈ પાસે માત્ર 400 કિલોમીટરના અંતરે છતાં આ ગુફાઓ જોવાની ઈચ્છાને પ્રાણવાયુ જ ન મળ્યો. જો કોવિડ પ્રકરણ ન આવ્યું