અજેય,અણનમ,ઉદાસ : દૌલતાબાદ ફોર્ટ
ઇમેજ : ગૂગલ ભારતની ભૂમિએ અસંખ્ય યુદ્ધ જોયા છે. સાહસિક રાજવીઓ, રાજકારણ , રાજનીતિ ,ખટપટ, કાવાદાવા, કૂટનીતિ અને આક્રમણકારીઓની ટક્કર. કેટલાંય મહારથીઓ જાજરમાન, મજબૂત અભેદ્ય કહેવાય તેવા કિલ્લામાં હાર્યા છે. પોતાના રાજ્યની, રૈયતની રક્ષા માટે દરેક રાજવી કિલ્લા નિર્માણ તો જરૂર કરતાં રહેતા. આજે પણ તવારીખની સાક્ષી ભરતાં એ કિલ્લાઓ અડીખમ ઉભા છે. કોઈક જર્જરિત હાલતમાં છે તો કોઈ કાળની સામે લડત આપતાં અડીખમ ઉભા છે. એ પૈકી એક છે દૌલતાબાદ ફોર્ટ. મૂળ નામ દેવગિરિ દુર્ગ. પ્રાચીન સમયથી જ એ શક્તિશાળી રાજવીઓનો ગઢ કહેવાય છે. આ રાજવીઓએ આજના મુંબઈ પર પણ સત્તા ભોગવી હતી. દૌલતાબાદ કે પછી દેવગિરિ એક એવો દુર્ગ છે એને માટે કહેવાય છે કે એ ક્યારેય દુશ્મનના હાથે પડ્યો નથી. એટલે એવું નથી બન્યું કે એને ભેદવામાં શત્રુ રાજા સફળ થયો હોય. મધ્યકાલીન યુગમાં આ કિલ્લાને અજેય દુર્ગ લેખાતો રહ્યો છે. એ એટલો મજબૂત હતો કે ભલભલો તાકાતવાન શત્રુ એને વીંધવામાં નાકામ રહ્યો છે. હા, છળકપટથી , ચાલાકીથી રાજવીની હાર થઇ છે પણ કિલ્લો નબળો પડ્યો નથી.