દિલ ઢૂંઢતા હૈ ફિર વહી...

ભારતમાં પણ આવી કોઈ જગ્યા છે , જુઓ તો જ માની શકો. શ્રીનગરથી અમારે જવાનું હતું યુસમર્ગ. ખરેખર તો મારા માટે આ નામ જ ભારે વિસ્મયકારી હતું. આ પૂર્વે કોઈ પણ કાશ્મીર પ્રવાસ સમયે ક્યાંય કોઈ પાસે સાંભળ્યું કે જાણ્યું નહોતું. જયારે આઇટેનરીમાં યુસમર્ગનું નામ જોયું એટલે ગૂગલ પર શોધ કરી. તેમાં પણ ખાસ જોઈએ તેવી માહિતી તો ન મળી. ખૂબ રમણીય જગ્યા છે, માત્ર નિસર્ગપ્રેમી વિદેશીઓ જ આવે છે તેવા સંદર્ભ જાણ્યા એટલે લાગ્યું કે ખાસ સુવિધા નક્કી નહીં હોય અન્યથા દેસીઓ તૂટી પડે. શ્રીનગરથી યૂઝમર્ગ જવાનું હતું. રસ્તો ખાસ લાંબો નથી, પણ વચ્ચે એક સુંદર ધોધ જોવાનો હતો. નામ અહરબલ ફોલ. કાશ્મીરીમાં અહરનો અર્થ થાય છે ઝરણું કે જેને ચશ્મા કહે છે અને બલ એટલે મુખ. ઝરણનું મૂળ , મુખ તે અહરબલ ધોધ. શ્રીનગરથી છે તો માત્ર 75 કિલોમીટરના અંતરે પણ મુંબઈમાં 75 કિલોમીટર અને કાશ્મીરના પહાડી રસ્તા પર ટેમ્પો ટ્રાવેલરમાં કિલોમીટર જુદી જ ગણતરી થાય. તેમાં પણ ત્યાં પહોંચાડતો રસ્તો પુલવામા ગામમાંથી પસાર થતો હતો. હા, એ જ પુલવામા જેના પર થયેલા એટેકથી એક એક હિન્દુસ્તાની હલબલી ગયા હતા. વચ્ચે ...