બ્લાસફેમી : ધર્મને નામે અમાનુષી અત્યાચાર માટે પરવાનગી આપતી કવાયત


 તહેમીના દુર્રાની પાકિસ્તાનમાં નારીવાદી ચળવળ ચલાવવા માટે જાણીતું નામ છે. અલબત્ત, એ પોતે એક  વિવાદસ્પદ ચરિત્ર રહ્યા છે એમ કહી શકાય. પોતાની આત્મકથા માય ફ્યુડલ લોર્ડથી જાણીતા થયેલા આ લેખિકા તત્કાલીન પાક પીએમ શાહબાઝ શરીફના ચોથા  પત્ની છે , અને શરીફ તહેમીનાના ત્રીજા પતિ છે. 
સત્ય ઘટના પર આધારિત, નવલકથા બ્લેસ્ફેમી નવલકથા તહેમીના દુર્રાની જેવી સ્ત્રીએ ન લખતાં જો કોઈ પોલિટિકલ પાવર વિનાની , સામાન્ય લેખિકાએ કે લેખકે લખી હોત તો એને મૃત્યુદંડની સજા ફરમાવાઈ હોત એ એટલી જ જાહેર વાત છે. 

પુસ્તકનો મહોલ દક્ષિણ પાકિસ્તાનમાં સેટ છે. જયાં  પિતૃસત્તા અને પુરૂષનું વર્ચસ્વ તેની ટોચ પર છે, સ્ત્રીઓ અને વંચિત લોકોની સ્થિતિ તેમના સૌથી નીચા સ્તરે છે અને ધાર્મિક કટ્ટરવાદ  ચરમ પર છે. તહેમીના દંભી અને હિંસક કહેવાતા ધાર્મિક નેતાઓ દ્વારા ઇસ્લામની સરળ વિકૃતિને આગળ લાવે છે. વર્ણનો ભયંકર  છે અને આજે પણ હજારો મહિલાઓ આ પ્રકારના જીવનમાં કેદ  છે તેવો વિચાર હચમચાવી જાય છે. 

શરૂઆત થાય છે એક કહેવાતા મહાન પીરબાબાના મૃત્યુથી. ઘરમાં શબ પડ્યું છે અને તેની પત્ની હીરની મનોવ્યથા. એ દુઃખી છે કે પછી પતિના મરણની ખુશીમાં  સિગરેટ પર સિગરેટ ફૂંકી રહી છે...

અને લેખિકા આપણને લઇ જાય છે 27 વર્ષ પહેલાના માહોલમાં , જ્યાં હીર એક કિશોરી છે. વિધવા માતા ને બે બહેનો એક ભાઈનો ગરીબ પરિવાર છે. 

હીર, અન્ય ષોડશીની  જેમ જ સપના જુએ છે.  જોકે તેના પિતાના મૃત્યુ પછી તે તેની વિધવા માતા માટે જિંદગી બોજ બની ગઈ છે. એને એવું લાગે છે કે પુરુષ વિના સ્ત્રીની જિંદગી દોઝખ છે.  એવામાં આવે છે એક સુવર્ણ તક. પીરબાબા સાથે હીરની શાદી. જેને કારણે આખા પરિવારના નસીબ ફરી જવાની આશા છે. 

આ પીર હીર કરતા ઉંમરમાં 'માત્ર' 18 વર્ષે મોટો છે. પણ,  મોટો પ્લસ પોઇન્ટ એ છે કે આ પીરબાબામાં લોકો અસાધારણ વિશ્વાસ શ્રદ્ધા ધરાવે છે. એનું બોલવું એ બ્રહ્મવાક્ય છે. પીરની આ ત્રીજી શાદી છે. હીરને એ વાત સાંભળીને વ્યથિત થાય છે ત્યારે મા આશ્વાસન આપે છે કે બંને બીબી ગુજરી ચુકી છે.  

શાદી કરીને હીર એવી દુનિયામાં આવે છે જે હવેલી નહીં એક કેદખાનું છે.  એક એવી દુનિયા જ્યાં તેના પતિની પરવાનગી વિના ઉંબર  પાર કરવાની મંજૂરી નથી. જ્યાં છ વર્ષના 'પુરુષ'ની સામે આવવા માટે  નિર્દયતાથી માર પડે છે.

પીરની હવેલીમાં પ્રવેશતાં જ હીરના સુખનાં સપનાં વેરવિખેર થઈ જાય છે. જે માણસ ભગવાનનો માણસ હોવાનો ડોળ કરે છે તે ખરેખર તો રાક્ષસ છે . હવેલી તેની દુષ્ટતાનું ક્ષેત્ર છે, જે વારસાની વ્યવસ્થા દ્વારા જાળવવામાં આવે છે, જેના કારણે તે વડો બન્યો . કહેવાતી સુહાગરાત હીર માટે નર્ક સાબિત થાય છે.  હીરને શક્ય તમામ રીતે ત્રાસ અપાય છે . સંત બનીને ફરતો આ પીર માત્ર લંપટ જ નહીં બાળકીઓને પણ છોડતો નથી. જે પછી પોતાની સગી દીકરી કેમ ન હોય . કહેવાતી શાદી અને સંત લેખાતા પુરુષ સામે માથું ઊંચકી શકવાની તાકાત હીરમાં નથી. 

હીર એ દુનિયામાં હતી જ્યાં સ્ત્રીની કોઈ ભૂલ માફ નથી.  કોઈ મંજૂરી નથી, કોઈ તર્ક લાગુ કરવામાં આવતો નથી અને કોઈ ખુલાસો આપવામાં આવતો નથી - એક એવી દુનિયા જ્યાં જ્યાં  તેના હૃદયની વાત કરવા માટે કોઈ નથી, હીર બે પુત્ર અને બે પુત્રીઓની માતા બને છે. સૌથી વધુ કંપારી છૂટે એવી વાત એ છે કે સંત એવો પીર પોતાની સગી દીકરી પર નજર બગાડે છે. જ્યાં હિરે  પોતાની  પુત્રીઓનું રક્ષણ કરવા એવી જ કોઈ કાચી ઉંમરની છોકરીને શિકાર તરીકે પીર સામે નાખવી પડે છે.

તેમના સમગ્ર જીવન દરમિયાન, પીર સૈન અલ્લાહ અને ઇસ્લામના નામે નબળા અને અજ્ઞાની લોકોનું શોષણ કરે રાખે છે. કોઈપણ  સિસ્ટમ સામે પોતાનો અવાજ ઉઠાવવાની હિંમત કરે તેના એવા હાલ કરવામાં આવે છે જેની અસર અન્ય લોકો માટે ભવિષ્યમાં પીરના પૂર્વજોની  સત્તા પર ક્યારેય પ્રશ્ન ન કરવા માટે એક ઉદાહરણ તરીકે સેટ થાય છે. . જેઓ નમ્રતાપૂર્વક પીરની ઇચ્છાઓને સમર્પણ કરે છે તેઓ જ વફાદાર મુસ્લિમો હોવાનું કહેવાય છે. અજ્ઞાનતા તેમની વ્યવસ્થાનો પાયો હતો અને તેથી તેને કોઈપણ ભોગે લાગુ કરવામાં આવ્યો હતો. પીર સાઈન સાથેની આ સફરમાં હીરે કેવી રીતે બધું ગુમાવ્યું તેનું સ્પષ્ટ ચિત્ર દુર્રાની આપે છે.

હીરના શબ્દોમાં,
“મારા માટે, મારો પતિ મારા પુત્રનો ખૂની હતો. તે મારી પુત્રી પર ગંદી નજર કરનાર પણ હતો. પવિત્ર પુસ્તક પર એક પરોપજીવી, તે લ્યુસિફર હતો, જે મને ગળાથી પકડી રાખતો હતો અને દરરોજ રાત્રે મને પાપ કરવા માટે દોરતો હતો.. પરંતુ આ બધાથી વધુ, તે અલ્લાહની સૌથી નજીકના માણસ તરીકે જાણીતો હતો, જે તેની પાસે પહોંચી શકે અને આપણને બચાવી શકે.
સમગ્ર જીવન દરમિયાન, પીર સાઇને અલ્લાહ અને ઇસ્લામના નામે નબળા અને અજ્ઞાન લોકોનું શોષણ કર્યું.

ધર્મના પડદા હેઠળ તેણે પોતાની જ યુવાન પુત્રી અને તેની જ ઉંમરની અન્ય છોકરીઓની છેડતી કરી. બુરખાનો લાભ લઈને, તેણે તેની પોતાની પત્ની હીરને તેના મિત્રો સમક્ષ "વેશ્યા" તરીકે રજૂ કરી. હીર તેના ભાવિ બાળકોને પરણેલા પુરુષના ત્રાસથી બચાવવા માટે ગર્ભપાત પણ કરાવે છે. 

તેહમિના દુર્રાનીનું લેખન કાચું છતાં  શક્તિશાળી છે. કેટલાક પ્રસંગો કમકમાટી પેદા કરે છે. દુર્રાનીએ દાવો કર્યો હતો કે બ્લેસ્ફેમી એક સત્ય ઘટનાથી પ્રેરિત હતી. અને આ પુસ્તક માટે પાકિસ્તાનમાં ભારે હોબાળો પણ મચ્યો હતો. આજે પણ બ્લાસફેમીના નામે થતાં અત્યાચારો પાકિસ્તાનમાં છાશવારે બને છે. જેમાં તાજેતરમાં જ એક ચીની નાગરિક સામે આ કેસ કરવામાં આવ્યો છે. જે ચીન ભૂખે મરતાં પાકિસ્તાનીઓને ટુકડા આપે છે તેની સામે બચકું ભરવા ઉભા થયેલા આ કટ્ટરવાદીઓના માનસ એક અભ્યાસનો વિષય છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen