આને કહેવાય કરિયાવર
સુરતની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રેસિડન્ટ જ્યોર્જ ઓક્સડેન, જેઓ માનતા હતા કે માહિમ પછીનો વિસ્તાર માનવ વસ્તી માટે છે જ નહીં |
સરકાર ને પાલિકા પર માછલાં ધોવામાં કસર ન છૂટે , જો કે એમની નિષ્ક્રિયતા સર્વોપરી ખરી પણ 24 કલાકમાં 315 mm વરસાદ કોઈ અમેરિકન શહેરમાં પણ પડે તો ત્યાં પણ આ જ હાલત થાય.
આપણે ત્યાં આ થયું એના એક દિવસ અગાઉ અમેરિકાના હ્યુસ્ટનમાં બોટ ફરતી હતી. ત્યાં વસતાં ઇન્ડિયન મિત્રોએ અમે સેફ છીએ સેફ છીએના એટલા મેસેજ મોકલવા પડ્યા કે દિવસમાં ત્રણ ચાર વાર બેટરી ચાર્જ કરવી પડી. કોઈનો વાંક તો શું કાઢવો ? પાલિકા જો પોતાનું કામ યોગ્ય રીતે કરે કે નાગરિકો પોતાની યુઝ એન્ડ થ્રોની ગંદી માનસિકતામાંથી બહાર આવે તો હાલાકી તો આવે પણ પરિસ્થિતિ આટલી ખરાબ ન થાય.
કાલે એક એક સોશિયલ મીડિયા ને ટીવી ચેનલો પર આ જ સૂર હતો. એમાં કોઈ નવાઈની વાત નથી. નવાઈની વાત એ છે કે આપણી પર ત્રણ શતક રાજ કરી ગયેલા અંગ્રેજોએ આપણા કરતા વધુ બોમ્બેને ઓળખ્યું હતું . કઈ રીતે એ જાણવું હોય તો બોમ બિયા એટલે કે બોમ્બે , મુંબઈની તવારીખ જોવી પડે.
23 ડિસેમ્બર ઈ.સ. 1534 ના રોજ થયેલી સંધિ મુજબ મુંબઈ સહિતનો વસઈ પ્રદેશ સાષ્ટિ પ્રદેશ (અત્યારનું ઉત્તર મુંબઈ NOBO ) અને ગુજરાતનું દીવ પોર્ટુગીઝને સોંપવામાં આવ્યા . |
અંગ્રેજો પહેલા જો કોઈ પશ્ચિમી પ્રજા આવી હોય તો તે હતા પોર્ટુગીઝ , એ વાત તો સહુ જાણે છે. ઈ.સ 1499માં વાસ્કો ડી ગામા ઇન્ડિયા આવી પહોંચ્યો હતો પણ ખરેખર જો ધાડાં ઉતરી આવ્યા હોય તો તે વર્ષ હતું ઈ.સ 1508. એ વખતે મુઘલ હુમાયુએ ગુજરાતના રાજવી બહાદુર શાહ પર આક્રમણ કરેલું . ખીલજી હોય કેશિવાજી , સુરતની વ્યૂહાત્મક ભૌગોલિક પોઝિશન સહુને મોઢામાં લાળ લાવી દેતી હતી. એમાં પણ સુરત , બંદર તરીકે પંકાતું . હજ કરવા જવાનો દરિયાઈ માર્ગ સુરતથી હતો. બહાદુરશાહ ને હુમાયુ વચ્ચે જે ઘર્ષણ થયું એમાં બહાદુરશાહે ગભરાઈને મદદ માંગી પોર્ટુગીઝની .ત્યાં સુધી પોર્ટુગીઝ માત્રને માત્ર વેપાર સુધી પોતાનું કામ સીમિત રાખતા હતા. અલબત્ત, આ વેપાર હતો મારી મસાલાનો જેમાં વધતી જતી સ્પર્ધામાં ફ્રેન્ચ ઉતરી ચૂક્યા હતા. એટલે પોતાનો પગપેસારો મજબૂત કરવા પોર્ટુગીઝ વાઇસરોય દા કુન્હા કોઈ તજવીજમાં હતા ને સામેથી પતાસું આવ્યું . બહાદુરશાહ મદદ માંગવા આવ્યો .
મદદ તો કરવાની જ હતી પણ એમ જ નહીં . વાઇસરોય નુનો દા કુન્હાએ મદદની કિંમત દમ મારીને લીધી .એ પ્રમાણે એક સંધિ થઇ.
23 ડિસેમ્બર ઈ.સ. 1534 ના રોજ થયેલી સંધિ મુજબ મુંબઈ સહિતનો વસઈ પ્રદેશ સાષ્ટિ પ્રદેશ (અત્યારનું ઉત્તર મુંબઈ NOBO ) અને ગુજરાતનું દીવ પોર્ટુગીઝને સોંપવામાં આવ્યા .બહાદુરશાહે કેટલા અરમાનથી વસઈનો કિલ્લો બાંધ્યો હતો એ પોર્ટુગીઝને સોંપી દેવો પડ્યો .એક જ વર્ષમાં પોર્ટુગલથી ઝનૂની પાદરીઓના ટોળાં ઉતરી આવ્યા ને મોટે પાયે ધર્માંતરણ શરુ થઇ ગયું . એક અંદાજ પ્રમાણે લગભગ 10,000 લોકોનું ધર્માંતરણ કરી ખ્રિસ્તી બનાવાયા જે આજે એન્ગ્લો ઇન્ડિયન તરીકે ઓળખાય છે. પણ એથી મહત્વની વાત હતી કે પોર્તુગીઝને સુરત કરતા વધુ વિકાસની તક આ વેરાન પડેલા સાત ટાપુમાં દેખાઈ ગઈ. જેની કિંમત કોઈને ક્યારેય નહોતી સમજાઈ .
વસઈનો કિલ્લો કબ્જે કર્યા પછી એમને બાંદ્રા, માહિમ , વર્સોવાના ખાડી વિસ્તારોની આસપાસ ગોદામ બાંધવા માંડ્યા . મુંબઈ પર પરોક્ષરીતે રાજ કરવા મુકાદમ રાખ્યા જેઓ વઝદર તરીકે ઓળખાતા, વઝદર /ગઝદર .
સાથે સાથે સ્થાનિક લોકો સાથે રોટી બેટી વ્યવહાર શરુ કર્યો એટલે કે એન્ગ્લો ઇન્ડિયન પ્રજાનો વધારો .વસઈ પાટનગર હતું ને જેસ્યુટ પાદરીઓ આપણા બાબાઓની જેમ ડેરા ખોલીને બેસી ગયા. દાદર, શીવરી ,સાયં , પરેલ, અંધેરી ને બાંદ્રા . બધે ડેરા હતા જો એની કોઈ બચી ગયેલી નિશાની જોવી હોય તો આજે પણ બાંદ્રામાં અડીખમ ઉભેલું સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ .
કોઈ બચી ગયેલી નિશાની જોવી હોય તો આજે પણ બાંદ્રામાં અડીખમ ઉભેલું સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ . |
બોમ બિયાનો જન્મ :
આજનું મુંબઈ , કાલનું બોમ્બે અને ભુલાયેલું બોમ બિયા . સુવર્ણકાળ ચાલી રહ્યો હતો પોર્ટુગીઝનો , જે મુઘલો હિંદુઓ પાસે જજિયા વેરો વસૂલતાં એમને પણ કોઈ માથાનું મળ્યું , એમને પણ હજ જવા માટેનો કર પોર્ટુગીઝને ચૂકવવો પડતો હતો. સાત ટાપુઓ બરાબર ફાલ્યા હતા એટલે એનું નામકરણ થયું બૉમ બિયા , એટલે કે સારો ઉપસાગર . 138 વર્ષ સુધી પોર્ટુગીઝ રાજ કરતા રહ્યા વિના કોઈ રુકાવટ પણ હવે એની તકદીર બીજે જોડાવાની હતી. બૉમ બિયાથી હજારો માઈલ દૂર આવેલા સ્પેનનો મોટો ફાળો છે આ તવારીખમાં મોડ લાવવા માટે .
સત્તરમી સદીમાં સ્પેને પોર્ટુગલને પાયમાલ કરી દીધું .પોર્ટુગલે લાચારીથી ઇંગ્લેન્ડના કિંગ ચાર્લ્સ (દ્વિતીય)ની મદદ માંગવી પડી . મદદનો અર્થ થાય છે સોદો , બહાદુરશાહને મદદ કરવા સામે પોર્ટુગીઝે બોમ્બીયા વસાવી લીધું હતું ને ઇંગ્લેન્ડના કિંગ ચાર્લ્સને બદલામાં મળી પોર્ટુગલના રાજવી અલફાન્સો બ્રગેન્ઝાની દીકરી કેથરીન ને જબરદસ્ત કરિયાવર . રાજવી કુટુંબોમાં થતા લગ્ન એક પ્રકારની રાજનીતિ જ હોય છે એ તો સર્વસિદ્ધ વાત છે.
લગ્નના કરાર થયા 23 જૂન ,ઈ.સ.1661માં ને લગ્ન થયા 31 મે ,ઈ.સ 1662માં. રાજકુમારી કેથરીન જે કરિયાવર લાવી તેમાં અપાયા હતા આ સાત ટાપુઓ પણ.
આખા સાત ટાપુની વાર્ષિક લીઝ હતી 10 પાઉન્ડ :
ઈ.સ 1668માં કિંગ ચાર્લ્સએ આ ટાપુઓને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને લીઝ પર આપી દીધા, વાર્ષિક લીઝ 10 પાઉન્ડ . એ વખતે અંગ્રેજોનું આગમન ઇન્ડિયામાં હતું જ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હેડ ક્વાર્ટર હતું સુરત , જ્યાં મુઘલ ને પોર્ટુગીઝ સાથે સતત સંઘર્ષ ચાલતો રહેતો . હવે તો પોર્ટુગીઝની કોઈ સમસ્યા નહોતી પણ સુરત બંદરનું બારું બુરાતું જતું હતું, તોતિંગ જહાજ લંગરી શકાય એવી શક્યતા રહી નહોતી . એ અંગ્રેજોને મુંબઈમાં દેખાઈ .
16મી સાડી સુધી અંગ્રેજોને પણ વેપાર સિવાય કોઈ ચીજમાં રસ નહોતો પણ અંગ્રેજોના ધ્યાનમાં એક વાત આવી ગઈ હતી કે આખું હિન્દુસ્તાન ટુકડાઓમાં વહેંચાયેલું છે. કુદરતની મબલક મહેર, ભૌગોલિક પરિસ્થિતિ અને કુદરતી સંપત્તિ એનો જેવો ફાયદો લઇ શકાય એ કોઈના ધ્યાનમાં પણ નહોતું , તો એ ફાયદો રોકડો શું કામ ન કરવો ?
ઈ.સ 1611, મછલીપટ્ટનમ સૌથી પહેલું વિકાસકેન્દ્ર હતું |
સૌથી છેલ્લો વારો મુંબઇનો આવ્યો જેનો દબદબો છેવટ સુધી બની રહ્યો .
બૉમ બિયા બન્યું બોમ્બે , પણ અંગ્રેજો એક વાત નોંધી કે જ્યાં પોર્ટુગીઝ થાણાં હતા એના કરતાં બહેતર વિકલ્પ દક્ષિણ મુંબઈમાં છે. ઊંડા બારાથી લઈને ઉંચી જમીન . નોર્થ મુંબઈ ખરેખર વસવાટને લાયક જ નહોતું લાગ્યું અંગ્રેજોને .
બોમ્બેને એક નવી ઓળખ મળી વિક્ટોરિયન ગોથિક મેન્શનથી લઇ પીવાના પાણીના કુવા, તળાવ , દમામદાર ઓફિસ બિલ્ડીંગ ને નવા ડોકયાર્ડ મળવાના હતા.
એ વખતે ગવર્નર હતા સુરતની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રેસિડન્ટ જ્યોર્જ ઓક્સડેન, જેઓ માનતા હતા કે મહીં પછીનો વિસ્તાર માનવ વસ્તી માટે છે જ નહીં .
અને શરુ થયો એક નવો અધ્યાય બોમ્બેનો.
એની રાઈડ પણ લઈશું અહીં જ , મૌજે દરિયામાં જ ....
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો