નામ જેટલું જ મનોહર ગુણકારી : કૈલાશપતિ

આપણી આસપાસ હોવા છતાં ક્યારેય ધ્યાન ન ખેંચી શકતા થોડાં તત્વ એવા હોય છે કે હાથ પર જરા ફુરસદનો સમય હોય અને ભૂમિ અજાણી હોય તો એકદમ મનને આકર્ષી જાય છે.

એવું જ થયું કલકત્તામાં બેલુર મઠની મુલાકાત સમયે  .
બેલુર મઠ વિષે લખાયું પણ ઘણું છે , લોકો પાસે જાણકારી પણ હોય જ છે પણ ચોખ્ખાચણાંક કોમ્પ્લેક્સમાં હરિયાળો વૈભવ બેલુર મઠના પથ્થરોને એક નવી આભા બક્ષે છે.

કદાચ વરસાદની મોસમ હોય કે પછી ત્યાંની ભેજવાળી હવા, વનરાજી એટલી તાજી જાણે સવારે જ ખીલી મહોરી હોય.
બેલુર મઠની વિઝિટમાં સૌથી વધુ ધ્યાન
આકર્ષ્યું હોય તો એક સુંદર , ઊંચા વૃક્ષે. નામ એનું કૈલાશપતિ કે પછી શિવકમળ. આ વૃક્ષ પહેલા ક્યાંક જોયું છે તેમ  લાગી તો રહ્યું  હતું પણ અસ્પષ્ટરૂપે. બરાબર યાદ નહોતું આવી રહ્યું  .
આ કૈલાશપતિ નામ તો પછી મળ્યું પણ ત્યાંના સ્થાનિકો એને નાગલિંગા કે શિવલિંગ વૃક્ષ તરીકે ઓળખતા હતા.
એનું કારણ એટલું જ કે ફૂલનો આકાર શિવલિંગની ઉપર નાગની ફેણ હોય તેવો છે.
એવું કહેવાય છે કે જ્યાં જ્યાં શિવમંદિર હોય ત્યાં આસપાસના વિસ્તારમાં આ વૃક્ષ જોવા મળશે  .

 બેલુર મઠમાં કદાચ આધ્યાત્મિક વાતાવરણમાં આ વૃક્ષ એટલી સુંદર છે કે જોનાર બે ઘડી અચંબિત થઈને તાકી રહેવા મજબૂર થઇ જાય. જેટલું સુંદર એથી ય કૈક ગણું કલાત્મક , ઊંચાઈ હશે લગભગ 40 ફૂટ.
આ લખનારે તો એની જિંદગીમાં આટલું ઊંચું સુંદર ફૂલથી ભરેલું વૃક્ષ જોયું નહોતું એટલે કદાચ વધુ આકર્ષી ગયું  .
અલબત્ત , આ શિવકમલ વૃક્ષ માત્ર શિવમંદિરની પરિઘમાં જ ઉગે છે તે વાતનો કોઈ પુરાવો નથી. હા, શિવમંદિરમાં કે પાસે તો હોય જ છે પણ કલકત્તાથી આવીને જાતિસ્મરણ થઇ આવે તેમ મને યાદ આવ્યું  . મરીનડ્રાઈવ પર જ મારી રાહ જોતું હોય તેમ જોવા મળ્યું  .
આવું એકવાર પહેલા પણ થઇ ચૂક્યું છે.
કેન્યાની ટ્રીપમાં એક સુંદર બુશ ટ્રી જોયું હતું  . લાલ સુંદર ગુચ્છેદાર ફૂલ કદીય જોયા નહોતા અને વળી પાછા કોઈ સુશોભનમાં લટકતાં હોય તેમ ઝૂલે, ઊંચા ઝાડ પર આ તોરણ જોઈને દિલ બાગબાગ  થઇ ગયેલું, એટલે ગૂગલ પર સર્ચ કરીને શોધ્યું કે મૂળ આફ્રિકાનું નિવાસી આ ઝાડ છે. દિલ ન ધરાયુ ત્યાં સુધી ફોટા ખેંચે રાખ્યા અને પછી શું થયું ?
પછી એ થયું કે ઘરથી બરાબર ત્રણ મિનિટના અંતરે ચર્ચગેટ સ્ટેશન પાસે આ ઝાડ જોવા મળ્યું  . (આજે પણ ત્યાં જ છે )
એટલે એનો અર્થ એ થાય કે ફુરસદમાં માણસની સુંદરતા જોવાની ક્ષમતા અસાધારણપણે વધી જતી હશે એમ જ ને?

અરે , હા, મૂળ વાત કૈલાશપતિ , શિવકમલ વૃક્ષની  .
 જયારે આપમેળે પાકી તૂટી પડે ત્યારે ધમાકો કરે છે. જાણે બારૂદ ફાટ્યો હોય.
જરૂરી નથી કે એ માત્ર શિવાલયની આસપાસ જ ઉગે. એ એક લોકવાયકા છે. આ ઝાડ વિદેશમાં પણ જોવા મળે છે. જ્યાં એને કેનન બોલ ટ્રી કહે છે. કૈલાશપતિના ફળને કેનન બોલ કહેવા પાછળનું કારણ આ ફૂલમાંથી પરિવર્તન પામી ફળ બને ત્યારે તેનો આકાર ,દેખાવ વજનદાર  દારૂગોળા જેવા હોય છે. એક વૃક્ષ લગભગ 150 થી 200 ફળ આપે છે. જેમાં પુષ્કળ બીજ હોય છે. ફળને પાકતા વર્ષથી દોઢ વર્ષનો સમય લાગે છે. જયારે આપમેળે પાકી તૂટી પડે ત્યારે ધમાકો કરે છે. જાણે બારૂદ ફાટ્યો હોય.

 કદાચ આ કારણે પણ લોકો તેની આસપાસ નહીં ફરકતા હોય. પરંતુ પશુ પક્ષીઓ માટે મિજલસ હોય છે. આ જ રીતે વૃક્ષનો વિકાસ થાય છે.
આ ફળ આયુર્વેદિક દવા જેવું કામ કરે છે. દાવા  તો એવા થયા છે કે વિજ્ઞાનીઓ પણ તેના ગુણને સ્વીકારે છે. સોજા, હાઇપર ટેંશન , ગાંઠ , મેલેરિયા ,ડાયેરિયા , દાંતના દુખાવામાં ને પેટના દર્દમાં પણ ભારે કામ લાગે છે એવું સાંભળ્યું છે પણ એનું કોઈ પ્રમાણ મળતું નથી. નહીંતર અત્યાર સુધીમાં એના અર્કની દવાઓ બજારમાં મળતી થઇ ચૂકી હોતે  . કદાચ એટલે જ મોટાભાગના ફળ ઢોરના ચારામાં વપરાતા જોયા છે.

આયુર્વેદિક ગુણ કે ધાર્મિકતાની વાત ઉપરાંત સૌથી સુંદર વાત છે એના દેખાવની, એના પમરાટની  . એને તો ફક્ત જોતા રહેવું એ પણ એક લ્હાવો છે. જે શિવમંદિર બૌદ્ધ મંદિરના પરિસરમાં તો ચોક્કસ જોવા મળશે  .


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen