પથ્થરમાં કોતરાયેલું મહાકાવ્ય
વિશ્વની કહેવાતી અજાયબી જોઈ આવ્યા હો ને ઈલોરાની મુલાકાત લીધી ન હોય તો મનમાં પ્રશ્ન તો જરૂર ઉઠવો જોઈએ કે આટલી વૈચારિક દરિદ્રતાના શિકાર આપણે કઈ રીતે થયા ?
મહાકાય શિલાઓમાં કોતરાયેલી ગુફાઓ,મંદિર, મૂર્તિઓ સ્થાપત્યકલા તે સમય દરમ્યાન સ્થાપત્ય નિર્માણ શૈલી કેવી જાનદાર
હોય શકે તેનો બોલતો પુરાવો એટલે આ ઇલોરાની ગુફાઓ છે. વિશ્વમાં માત્ર એક ને એક એવા રોક કટ સ્થાપત્યનો અજોડ નમૂનો જે UNESCO
વર્લ્ડ હેરિટેજ દ્વારા 1983માં નવાજવામાં આવ્યા પછી એની મહાનતા નું જ્ઞાન વિશ્વભરમાં થયું. આખા વિશ્વભરમાં એક અને એક માત્ર એવું પ્રાચીન અજોડ મોનોલિથિક સ્કલ્પચર છે કૈલાસ મંદિર .
જે બે લાખ ટનની શિલા કોતરીને બનાવાયું છે. તેની વાત વિસ્તારથી કરવી પડે.
અમે અજંતા કેવ્ઝ જોવા જવાનો પ્લાન બીજા દિવસ પર મુલતવી રાખી ઈલોરા કેવ્ઝની વિઝીટ લેવાનું નક્કી કર્યું. કારણ એટલું જ કે આ ગુફાઓ ઔરંગાબાદથી માત્ર 34 કિલોમીટર દૂર છે. રસ્તા પણ સારા છે. અત્યારે વેલૂર તરીકે ઓળખાતો આ પ્રદેશ એક જમાનામાં એક ઈલ્લપુરમ હતો. વેલૂરના જંગલો વિશે માત્ર ક્રાઇમ સ્ટોરીમાં સાંભળ્યું છે. પશ્ચિમ દખ્ખણ તરીકે ઓળખાતાં આ પ્રદેશમાં જંગલો વચ્ચે
ચર્ણાન્દ્રી હિલના પથ્થર કોતરીને બનાવેલી આ ગુફાઓ એ સમયના લોકોની કલાસૂઝ, ટેક્નિક અને કસબનો પરિચય આપે છે.
આ ચર્ણાન્દ્રિ હિલ છે એક લાવાકૃત હિલ. બેસાલ્ટ કહેવાય એ પ્રકારનો પથ્થર. એને કોરવો સહેલું કામ નથી. એકવાર એ કામ થાય તો એને મિટાવવું પણ શક્ય નથી. પ્રાચીન સમયમાં પોતાના મનની અભિવ્યક્તિ સદીઓ સુધી શાશ્વત રહે તેવા ઉદ્દેશથી અને ધર્મપ્રચાર માટે લોકોએ, સાધુઓએ, તેમના શિષ્યોએ અને આ તમામને ઉત્તેજન આપનાર,
તે પોષવા ધન આપનાર રાજવીઓ, શ્રેષ્ઠીઓએ ને વેપારીઓએ પણ મોટું યોગદાન આપ્યું છે.
એક સમયે અહીં લાવા વહ્યો હશે તે સમયની નિશાની પણ ગુફા નંબર 32 પાસે દેખાય છે. અલબત્ત , જો એ તમને ખબર હોય તો ,બાકી નહીં.
આ બેમિસાલ કૃતિની ઉદભવ સાલ 600 થી 1000 CE મનાય છે. આ ગુફાઓ,
મંદિર આ સમયકાળ દરમિયાન અસ્તિત્વમાં
હતા. એ નિર્માણ થતાં કેટલો સમય લાગ્યો એ કહેવું થોડું મુશ્કેલીભર્યું છે. તમામ ગુફાઓ સદીઓ સુધી તબક્કાવાર નિર્માણ પામતી રહી હોવાનું પુરવાર થઇ ચૂક્યું છે. ઇતિહાસવિદો ભલે છઠ્ઠી શતાબ્દી કહે પણ ઈ.સ પૂર્વે બીજી સદીમાં સાતવાહનનું રાજ હતું. જે ઈ.સ 60 સુધી ચાલ્યું . લગભગ 300 વર્ષ . તેમની રાજધાની હતી , પ્રતિષ્ટાન. જે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે હોવાનું ઉલ્લેખાયું છે. સાતવાહન કાળમાં ભાષા પ્રાકૃત હતી અને લિપિ બ્રાહ્મી , જે ગુફા નંબર 15ની દિવાલ પર આજે પણ જોવા મળે છે . એટલે કે આ ગુફાઓ ઈ.સ પૂર્વે બીજી સદીમાં અસ્તિત્વમાં હતી.
તે સમયે દખ્ખણ એક ટ્રેડ રૂટનું ભાગ હતું. દક્ષિણ ભારતના રાજાઓએ દરિયાઈ માર્ગે વ્યાપાર વાણિજ્ય વિકસાવ્યા હતા. દેશદેશાવર જતી ખેપ, વેપારીઓ આ રૂટથી જતા. એટલે માત્ર રાજવીઓએ જ નહીં વેપારી અને યાત્રાળુઓએ પણ પોતપોતાની યથાશક્તિ દાન આ કામ માટે આપ્યું હોવાનું લેખાય છે.
આ કારણોસર ઈલોરા ગુફાના નિર્માણની શરૂઆત સાતવાહન વંશના રાજ દરમિયાન થઇ હોવાની સંભાવના લેખાય છે.
આર્કિયોલોજીસ્ટનો એક વર્ગ ઈલોરા ગુફાઓના નિર્માણ માટે રાષ્ટ્રકૂટ વંશને શ્રેય આપે છે. તેમનો મત બેબુનિયાદ હરગીઝ નથી. પણ, શરૂઆત સાતવાહન વંશથી થઈ એ પણ એટલું જ સત્ય છે.
રાષ્ટ્રકૂટ રાજવીઓને યશ આપવાનું કારણ છે જગપ્રસિદ્ધ કૈલાસ મંદિર. એ મંદિર નિર્માણ થયું એ પૂર્વે ગુફાઓ અસ્તિત્વમાં આવી ગઈ હતી. તે નિર્માણ કરાવનાર હતો રાષ્ટ્રકૂટ રાજવી દંતી દુર્ગ. લોકોએ રાષ્ટ્રકુટના સ્થાપકને યાદ નથી રાખ્યો. પણ, ભત્રીજા દંતી દુર્ગને ઉથલાવીને (ક્યાંક ઉલ્લેખ છે તે પ્રમાણે હત્યા કરીને ) કાકા કૃષ્ણ રાજા પ્રથમ ગાદીએ બેઠો અને એને કૈલાસ મંદિરનું નિર્માણ કરાવ્યું એનું નામ અમર થઇ ગયું છે.
કુલ તો લગભગ 100 જેટલી ગુફાઓ છે પણ ટુરિસ્ટ માટે માત્ર 34 ગુફાઓ ખુલ્લી છે. પથ્થરમાં કોતરાયેલી અનુપમ કલાકૃતિ અને ગુફાઓ ત્રણ ધર્મમાં વહેંચાયેલી છે.
એક છે હિન્દૂ ગુફાઓ ,બીજી છે બૌદ્ધ અને ત્રીજી જૈન ગુફાઓ.
બેસાલ્ટ રોકમાં કોતરીને નિર્માણ થયેલી આ કારીગીરી જેટલી બેમિસાલ છે એટલી જ નક્કર છે. એને કાળ પણ મિટાવી શક્યો નથી. |
34 ગુફાઓમાંથી 12 ગુફાઓ, નંબર 1થી 12 બૌદ્ધ ગુફાઓ છે. 17 ગુફાઓ નંબર 13 થી 29 હિન્દૂ અને નંબર 30થી 34 જૈન ગુફાઓ છે. જે પ્રાચીન ભારતમાં પ્રવર્તતા સમરસતા ને ધાર્મિક એકતાનું પ્રતીક પણ કહી શકાય.
પથ્થરમાં કોતરાયેલા મહાકાવ્ય જેવા આ સ્થાપત્યને નજરે નિહાળ્યા પછી એક વાત તો જરૂર પ્રતીત થાય કે આ કોઈ એક રાજવી કે રાષ્ટ્રનું કામ ન હોય શકે. આ ગુફાઓનું નિર્માણ જુદા જુદા સમયમાં જુદા જુદા રાજવીઓએ હાથ ધર્યું હશે. અલબત્ત, આ માટે એક અનેક થિયરી છે.
એક થિયરી પ્રમાણે સાતવાહન , રાષ્ટ્રકૂટ અને યાદવ વંશજ રાજાઓએ આ ગુફા સ્થાપત્ય નિર્માણના શ્રી ગણેશ કર્યા હતા. એ પછી આવનાર રાજવીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે તેમાં યોગદાન આપી વૃદ્ધિ કરતા રહ્યા. ટૂંકમાં કહેવું હોય તો કળા , ધર્મ અને ધનનો સુભગ સમન્વય ઝીલાયો છે.
હિન્દૂ ગુફાઓ : મોટાભાગના આર્કિયોલોજિસ્ટ માને છે તે પ્રમાણે ઇલોરાની ગુફાના નિર્માણનું કામ આરંભાયું હશે 550 CE માં. શરૂઆત જરૂર થઇ પણ એક રાજવીએ તમામ નિર્માણ કામ કર્યા નથી. એ પેઢી દર પેઢી ઉત્તરોત્તર નિર્માણ પામતા રહ્યા.
અહીં રસક્ષતિ કરતી એક વણમાગી પણ જરૂરી ટીપ. જ્યારે પણ તમે આવા કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત લો ત્યારે પ્રોપર,અભ્યાસુ ગાઈડને સાથે રાખવાનો આગ્રહ જરૂર રાખવો. ASI દ્વારા પ્રમાણિત ગાઈડની ફી નિઃશંકપણે વધુ હોવાની. એની સરખામણીમાં સાઈટ પર ફરતાં ટપોરીઓ પણ ગાઈડ તરીકે સેવા આપવા અનુરોધ કરતા હોય છે. જેમની ફી લગભગ અડધી કે વન થર્ડ હોય છે. પણ આ ફ્લાય બાય ઓપરેટર્સ ને ન તો ઇતિહાસનું ભાન હોય ન સ્થાપત્ય કલાનું. પ્રોફેશનલ ગાઈડની આગળ પાછળ ફરીને થોડું ઘણું શીખી જઈ કામ ચલાવતા હોય છે.
અમે પણ આવી જ ભૂલ કરી. એક મિત્રે આપેલી સલાહને અનુસરીને અમે એવા જ કોઈ આલિયા માલિયાને સાથે લીધો . એને ન તો ઇતિહાસનું ભાન હતું કે ટાઈમ લાઈનનું. રટ્ટો મારીને એ બોલતો રહ્યો ,જે અમને તો નહોતું જ સમજાતું પણ એને ય કદાચ નહોતું સમજાતું. પણ,
સારા નસીબે ત્યાં નેટ પકડાતું હતું એટલે ગૂગલિંગ કરીને તાળો મેળવાતો રહ્યો.
ટૂંકમાં વ્યવસ્થિત ગાઈડ રાખવો. એમાં કસર કરવી નહીં. તમે એમની સજ્જતા અને જ્ઞાનના પૈસા ચૂકવો છો .
હવે મૂળ વાત.
હિન્દૂ ગુફાઓમાં શિવ મુખ્ય નાયક છે. સાથે સાથે વિષ્ણુ પણ ખરા .
સૌથી રસપ્રદ છે કૈલાસ મંદિર જેને હવે વિદેશીઓથી પ્રેરાઈને લોકલ ગાઈડ પણ કૈલાસા ટેમ્પલ કહે છે. એ વિશે વાત લંબાણથી કરવી પડે.
એટલે પહેલા વાત કરી લઈએ બૌદ્ધ ગુફાઓ .
તંત્ર સાધનાનું મહત્વ બૌદ્ધ ધર્મમાં મહાયાન સંપ્રદાયમાં છે. નીચે દેખાય રહયું છે એ પથ્થરમાં કોતરાયેલું યંત્ર છે.
બુદ્ધના નિર્વાણ પછી ત્રણ પંથ પડી ગયા હતા. એક હતો મહાયાન ,બીજો હીન કે થેરાયાન ત્રીજો વજ્રયાન. ત્રીજો પંથ મહાયાનનો પૂરક હતો. મહાયાન સંપ્રદાયની ખાસિયત હતી મોટાં સ્મારકો નિર્માણ કરવા. જે પછી ભિક્ષુઓ માટે સ્વાધ્યાય ભવન વિહાર હોય કે પ્રાર્થના માટે વિહાર. કે પછી સ્તૂપ. હીનયાન ધ્યાન અને સ્મરણ પર ભાર મૂકે છે. જ્યારે વજ્રયાન તાંત્રિક ક્રિયાઓને મહત્વ આપે છે. ઈલોરામાં મહાયાન અને વજ્રયાન હાજરી દેખા દે છે.
ને બોરીવલીની કાન્હેરી કે એલિફંટાની કે પછી લોનાવાલા પાસે કાર્લા ગુફાઓની મુલાકાત લીધી છે તેમને આ ગુફાઓ જોઈ કોઈ આશ્ચર્ય નહીં થાય. મોટાભાગની ગુફાઓ બિલકુલ એ જ નિર્માણ શૈલીની છે . પથ્થરને ચોસાલામાં કાપી લઈને આવાસ ઉભા કરવાની બૌદ્ધ સાધુઓની ટેક્નિક અહીં પણ એ જ છે. 1 એસેમ્બલી હોલ છે. સુચારુ સાદગીભરી ગુફા. જે વિહાર છે. એટલે કે એનો ઉપયોગ રહેવા માટે થતો હશે. જયારે ગુફા 2 પ્રાર્થના કક્ષ જેવી લાગે છે. ત્યાં દેવીઓની હાજરી પણ છે. 9
નંબરની ગુફાઓ લિવિંગરૂમ તરીકે વપરાતી હશે. જયારે પાંચ નંબરની ગુફા ડાઇનિંગ રૂમ તરીકે.,
10 નંબરની ગુફા પ્રાર્થના કક્ષરૂપે અને 11 અને 12 સાધના , અભ્યાસ માટે.
અલબત્ત, બૌદ્ધ ગુફાઓ એકદમ સુચારુ પણ સાદગીભરી છે. માત્ર એક જ ગુફા જુદી પડે છે તે છે ગુફા નમ્બર 10 . જેને ટુરિસ્ટ માટે કાર્પેન્ટર્સ કેવ કહે છે , બીજું નામ છે વિશ્વકર્માઝ કેવ. સ્થાનિક લોકો સુથાર કા ઝોંપડા જેવો ઉલ્લેખ પણ કરે છે.
જે નેચરલ સ્ટોનમાં કોતરાયેલી છે. વિશેષ એ કારણથી કે બાકીની તમામ ગુફાઓ વિહાર કક્ષાની છે. જયારે આ ચૈત્ય છે. કાર્પેન્ટર્સ કેવ કહેવા પાછળનો સંદર્ભ સમજાય એવો નથી. કદાચ એવું હોય શકે કે આ ગુફામાં જે કોતરણીકામ છે તે એટલું સફાઈપૂર્વક થયું છે કે જાણે એ પથ્થર પર નહીં બલ્કે કાષ્ઠ પર , લાકડા પર કર્યું હોય. એટલું સફાઈદાર , બારીક કામ બારી અને છજ્જા પર થયું છે.
બૌદ્ધ સાધુઓ બે ત્રણ પ્રકારના સ્થાપત્ય કરતા હતા. એક ચૈત્ય બીજા વિહાર અને ત્રીજા સ્તૂપ.
કોઈક નવા નિર્માણને છાજે એવી હોસ્ટેલ બૌદ્ધ સાધુઓ માટે , સાધુઓ જ્યાં રહે તે વિહાર અને જ્યાં સ્વાધ્યાય ને સાધના થાય તે ચૈત્ય . |
|
|
આ વિહાર ગુફા પૈકીની એક છે ,જેનો ઉપયોગ બૌદ્ધ સાધુઓ આવાસ માટે કરતા હતા. આ ભોજન કક્ષ હોવો જોઈએ તેવું કહેવાય છે.
વિહાર જેને લોકો હવે વિહારા કહે છે તેનો ઉપયોગ બૌદ્ધ સાધુઓ રહેવા માટે કરતા હતા. જયારે ચૈત્ય સાધના અને ઉપદેશ માટેનું સ્થાન છે. વિહારમાં સ્તૂપ હોતા નથી. ચૈત્યમાં હોય છે.
ગુફા નંબર દસ એ પૈકીની એક ચૈત્ય ગુફા લેખી શકાય.
81 ફૂટ લાંબી 43 ફૂટ પહોળી અને 34 ફૂટ ઊંચી આ ગુફામાં 14 ફૂટ ઊંચા 28 અષ્ટકોણી સ્તંભ છે. એક સ્તૂપ પણ છે અને 17 ફૂટના પ્લેટફોર્મ પર 11 ફૂટ ઊંચી ગૌતમ બુદ્ધની પ્રતિમા પણ છે. તેની પાછળ છે વિશાળ બોધિવૃક્ષ , જે પહેલી નજરે તો ખ્યાલ ન આવે પણ જો તમે અભ્યાસ કરીને ગયા હો તો બિલકુલ જોઈ શકો. કે પછી સારો ગાઈડ હશે તો તમને આ બધી બારીકી દેખાડશે.
આ ગુફાઓમાં સ્ત્રી અને પુરુષના શિલ્પ દેખા દે છે. હાથમાં સંગીતના વાદ્ય સાથે કે અપ્રતિમ કેશગુંફનવાળી નારીના શિલ્પ સામાન્ય નથી. રાગરાગિણીના આ શિલ્પ મહાયાન પંથના ભાવિકોએ બનાવ્યા છે.
તંત્ર પ્રથા અસ્તિત્વમાં હતી. જેનો વ્યાપ દક્ષિણમાં હતો. શરૂઆત મહારાષ્ટ્રથી થાય, કાન્હેરી , પન્હાલા,કાર્લા ઉપરાંત ઈલોરા ગુફાઓ આ વાતની સાક્ષી છે.
જે નર શિલ્પ છે તે અષ્ટ બોધિસત્વ પ્રદર્શિત કરે છે. અવલોકિતેશ્વર , મૈત્રયી, વજ્રપાણિ , મંજુશ્રી ,આકાશગર્ભ , ક્ષિતિજગર્ભ અને નારીશિલ્પ છે બૌદ્ધ ધર્મમાં શક્તિ સ્વરૂપે પૂજાતી 12 ધારિણીઓના. જેમાં સૌથી મુખ્ય તારા છે.
દેવી પંચિકા જેને ધનની દેવી મનાય છે અને સાથે છે હરિતિ . જે ફળદ્રુપતાની દેવી લેખાય છે. અહીં પણ મતમતાંતર છે. હરિતિને કોઈ દેવી લેખે છે ને ક્યાંક એનો ઉલ્લેખ ડાકિની તરીકે થયો છે. હરિતિ એવી ડાકિની હતી જે નાનાં બાળકોને ખાઈ જતી હતી. ગૌતમ બુદ્ધના શરણમાં આવી ને એ ડાકિનીમાંથી દેવી બની એવો ઉલ્લેખ પણ છે.
તંત્રપૂજા થતી હોય ત્યાં તંત્રની ઉપસ્થિતિ તો હોવાની જ . પણ, એ દેખીતી રીતે જણાતું નથી. જો ગાઈડ યોગ્ય હોય તો એ તમને ડાકિનીઓ દેખાડી શકે. માત્ર ગાઇડ જાણકાર હોવો જરૂરી છે.
જૈન ગુફાઓ :
જાણીને લાગશે પણ જોઈ ધર્મનો વ્યાપક પ્રભાવ દક્ષિણના રાજવીઓ પર હતો. જે એમ ન હોત તો જૈન ધર્મના સાધુઓ માટેની ગુફાઓ અસ્તિત્વમાં જ ન હોતે.
અલબત્ત, માત્ર પાંચ ગુફાઓ ટુરિસ્ટ માટે ખુલ્લી છે. એમ મનાય છે કે પાંચમી અને છઠ્ઠી શતાબ્દીમાં દિગંબર સાધુઓએ આ ગુફાનું નિર્માણ કર્યું હોવું જોઈએ. આ થિયરી છે .
આ ગુફાઓ સુધી પહોંચવા માટે ચાલવાનું ખૂબ છે. એટલું જ નહીં એ મોટાભાગના ટુરિસ્ટ દ્વારા ઉપેક્ષિત હોવાથી ત્યાં ખાસ અવરજવર નથી. એ ગુફાઓ ચૂકવા જેવી નથી. ત્યાં ઇન્દ્રસભાના શિલ્પ બેમિસાલ છે.
જૈન ગુફાઓમાં ધ્યાનસ્થ મહાવીર સ્વામી અને કુબેર
ઔરંગઝેબની મંશા બર નહોતી આવી. મૂર્તિઓ ખંડિત થઇ પણ મંદિરને તોડી પડવું કે શિલામાં કોતરાયેલી ગુફાઓ તોડી નાખવાનું કામ સહેલું નહોતું.
હિન્દૂ સ્થાપત્ય વિષે વાત થતી હોય તો વિશ્વમાં અજોડ એવું એક ને માત્ર એક એવા કૈલાશ મંદિર વિષે વાત કરવી પડે. આ મંદિરની રચના એવી છે કે એને સંપૂર્ણરીતે જોવા માટે બાજુમાં રહેલી ટેકરી પર ચડવું પડે. અમારા ગાઈડના કહેવા પ્રમાણે ત્યાં માત્ર સ્થાનિક પ્રજાને જવાની છૂટ છે , ટુરિસ્ટ માટે એ પ્રતિબંધિત છે પણ એ અમને લઇ ગયો. ઉપરથી જુઓ તો ઘોડાની નાળ હોય તેવા અંગ્રેજીના C આકારમાં છે. ગોપૂરમ, અંતરાલ, મંડપ , ગર્ભગૃહની શૈલી એકમેકથી જુદી છે. એનો અર્થ નિશ્ચિતપણે અનેક જુદા જુદા સમયનું અંતર દર્શાવે છે. એનો અર્થ એમ પણ થયો કે મંદિરનું નિર્માણ એક રાજવીએ નહીં બલ્કે અનેક રાજવીએ પોતાના સમયમાં પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે કર્યું છે.
પણ આ રાજવી છે કોણ ? ઇતિહાસવિદો અને આર્કિટેક્ટ્સ
વચ્ચે
વિવાદ ચાલતાં રહે છે. એ માટે ઘણી થિયરીઓ પણ છે. વિવાદિત હોવાનું કારણ એ પણ ખરું કે આ માટે ન તો કોઈ શિલાલેખ છે , હોય તે મળ્યા નથી અને ન તો કોઈ તામ્રપત્ર પર લખાયેલું મળ્યું છે. તે છતાં વિદ્વાનો માને છે તે પ્રમાણે મંદિરનું કામ હાથે ધર્યું 756
CE થી 773 CE
દરમિયાન રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણરાજા પ્રથમે . આ માનવાનું કારણ એટલું કે મંદિરના ઉત્ખનન સમયે આસપાસ જે એપીગ્રાફ્સ મળે છે તે આ નામનો ઉલ્લેખ કરે છે.
ઉત્કૃષ્ટ સ્થાપત્યશૈલી ને જોયા વિના માની ન શકાય કે એ જમાનામાં કઈ વિદ્યાથી આ બધું નિર્માણ થયું હશે ?
એવા કૈલાસ મંદિરની વાત હવે પછી...
ક્રમશ:
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો