ક્યા કહાની ક્યા સચ ?
કહેવાય છે કે સત્ય કલ્પના કરતા વધુ વરવું હોય છે . તો ઘણીવાર સત્યના નામે દંતકથામાં મઢીને જન્માવેલી કાલ્પનિક કથાઓ રસપ્રદ ભલે લાગે પણ વાસ્તવિકતાથી જોજનો દૂર હોય છે.
એવી જ કહાની છે અપૂર્વ સુંદરી ચિતોડની રાણી પદ્મિની એટલે કે પદ્માવતીની .
પ્રેમ, લોલુપતા ને સમર્પણ જેવા ઇમોશન્સથી ભરપૂર ડ્રામેટિક એવી સંજય લીલા ભણસાલીની પદમાવતી આવી રહી છે ત્યારે એક બાજુ સર્જાયો છે તોડફોડનો માહોલ ને બીજી તરફ છે નરી ઉત્સુકતા.
રાણા રતનસિંહ રાવલ ,રાણી પદ્મિની ને અલ્લાઉદીન ખિલજી .
એક એવી દંતકથા જે આજે પણ જીવે છે જેને કારણે ચિતોડ જનાર પ્રવાસી રાણી પદ્માવતીએ જ્યાં જૌહર કર્યું તે અગ્નિકુંડ જોવા ઉત્સુક હૉય છે અને દિલ્હીની મુલાકાત લેનાર મેહરૌલીમાં રહેલા અલ્લાઉદીન ખિલજીની યાદસમા ખંડહર જોઈને વૈમનસ્ય તાજું કરે છે.
આ આખી વાર્તા આધારિત છે પદ્માવત નામના ગ્રંથ પર. મલિક મહોમ્મદ જાયસી નામના કવિએ અવધિ ભાષામાં લખેલો ગ્રંથ ખરેખર સત્યકથા પાર આધારિત છે ?
કે પછી જેને પોએટિક લિબર્ટી કહે છે તેવી કાલ્પનિક છૂટછાટને આભારી ? આ પ્રશ્ન તો કોઈ પૂછતું જ નથી.
ઇતિહાસમાં વિરોધાભાસ અને વિતંડાવાદનો પાર નથી. એક તરફ ખિલજી લંપટ ક્રૂર રાજવી છે તો બીજી તરફ એને સારો શાસક લેખનાર ઇતિહાસકાર અને સંશોધનકારની કમી નથી .
આ પદમાવતનો કવિ મલિક મુહમ્મદ જાયસી પોતાના 16 મી સદીના મહાકાવ્યમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને એક વીર યોદ્ધાની જેમ નવાજે છે. જેની યુદ્ધની તૈયારી ઇન્દ્રને ભાગવું પડે તેવી વર્ણવી છે. જબ્બર સેનાની કૂચ કિલ્લાઓથી રાંગ ધ્રુજાવતી ને રાણા રતનસિંહના સૈન્યને ધ્રુજાવતી દર્શાવાઈ છે. જોવાની કે ખૂબી એ છે કે પદમાવતમાં હીરો છે રાજા રતનસિંહ રાવલ પણ ખલનાયકને આમ શક્તિશાળી વર્ણવતી સ્તુતિ હીરોને માયકાંગલો પૂરવાર કરે છે.
વાત માત્ર આ કાલ્પનિક ચિત્રથી નથી અટકતી . જયસીના વર્ણનમાં ખીલજીની પ્રચંડ લશ્કરી સેનાઅને સક્ષમ મુત્સદ્દીગીરી સાથે, તેમણે દિલ્હીના નાના રાજ્યને સંપૂર્ણ સામ્રાજ્યમાં કઈ રીતે ફેરવ્યું. નિરક્ષર હોવા છતાં, ખિલજીએ દાખલ કરેલી નવી કર પ્રણાલીને કઈ રીતે સફળ બનાવી કે જેનું અનુકરણ પછી આવનાર તમામ ડાયનેસ્ટીએ કરવું પડ્યું હતું એનું પણ વર્ણન છે.
ઇતિહાસ વારંવાર એક વાત દોહરાવે છે કે ખિલજી સિકંદરથી અતિશય પ્રભાવિત હતો. એટલે પોતાની જાતને સિકંદર દ્વિતીય તરીકે લેખાવતો હતો .
ખિલજીને સ્ત્રી કરતાં વધુ રસ કિશોરમાં પડતો . |
હિન્દુસ્તાનમાં સહુ પ્રથમ કરપ્રણાલી દાખલ કરનાર હોય તો આ અલ્લાઉદીન ખલજી , ઇતિહાસમાં ક્યાંક એનો ઉલ્લેખ ખલજી તરીકે પણ મળે છે. એને ચાર પ્રકારના મુખ્ય હુકમ જારી કર્યા તે પૈકી એક હતો લેન્ડ ટેક્સ , બીજું હતું સેનાનું સંગઠન અને આધુનિકરણ , ત્રીજું નશા ને દારૂબંધી અને ચોથું અમીરોના લગ્નોમાં થતી તાયફાબાજી પર રોક.
આ જોતાં તો એ સારો શાસક હોવો જોઈએ .
તો આટલો બદનામ કેમ છે ? એવો પ્રશ્ન જરૂર ઉઠે.
અહીં એક વાત સમજી લેવી જરૂરી છે , ખિલજી અને પદ્મિનીની આ કથા 13મી સદીની છે. પદમાવત મહાકાવ્ય અને એ પછીના ચરિત્રકાવ્યો 15 અને 16મી સદીમાં લખાયા છે. એટલે કે 300 વર્ષ પછી.
કહેવાય છે કે માણસની ઊંચાઈ ફક્ત એને કરેલા કામ પરથી નહીં એને ઉભા કરેલા દુશ્મનો પરથી પણ અંકાય છે.
ખિલજીની નીતિ, કરમાળખા, કાયદા, નિયમો કદાચ સારા પણ હતા જેને માટે થઈને તાલેવંતના ટુકડાં પર નભતાં કવિઓએ એને એક લંપટ માણસ ચીતર્યો એવું વિદ્વાનો કહે છે. 14મી સદીમાં લખાયેલા તારીખે ફિરોઝશાહી ઝિયા ઉદ દિન બારાનીમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે અજલફ ને અશરફ વચ્ચે એટલે કે ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ ઓછી કરવાના પ્રયાસે ખિલજીને સદીઓ સુધી જીવંત રહે તેવી બદનામી આપી. અમીરોએ ઇતિહાસ રચાવ્યા જેમાં ખીલજીનું ચારિત્ર્યહનનનો એક પણ પ્રયાસ જતો ન કરાયો .
અમીર ગરીબ વચ્ચેની ખાઈ દૂર કરવી હતી ? ખરેખર ?
પ્રયાસ તો એવો જ થયો હતો , નવા કરમાળખા પ્રમાણે ખીલજીએ લેન્ડ ટેક્સ શરુ કર્યો. જેમાં સૌથી મોટો ફટકો લાગ્યો જમીનદારોને . બીજો ફટકો લાગ્યો અમલદારોને, ટેક્સ કલેક્ટર્સને, ગરીબ લોકો પાસે યેનકેન ટેક્સ વસૂલતા અમલદારોને ભારે છૂટછાટ અપાતી હતી , એ પછી ઘર હોય કે ઢોરઢાંખર ચરાવવાનો ચરણી લેન્ડ, જે ખિલજીએ એક જ રાતમાં નાબૂદ કરી નાખ્યો .
ખીલજીની પોલિસીઓ માટે એક ઉલ્લેખ એવો મળે છે કે એ માનતો હતો કે જે ખોત ,મુકાદમ, ચૌધરી લોકો ટેક્સ ઉઘરાવવાનું કામ કરતા હતા તેમાંથી કટકી ખવાઈ જતી હતી એ રોકવા એને આખું જાસૂસી નેટવર્ક તૈયાર કર્યું . કોઈ પણ જમીનદાર, તવંગર માણસનું ઘર બાકી નહોતું કે ખીલજીની બાજનજરથી બાકાત હોય.
ખિલજી પાસે એ બધું કરવા માટે એક કારણ હતું કે અમીરનો બોજ ગરીબની કેડ પર ન પડવો જોઈએ .
ખરેખર તો આ વાત સાચી હોય તો દિલ્હીની ગાદીએ બેઠેલા આ અલ્લાઉદીન ખિલજી માટે લોકોને પ્રેમ હોવો જોઈએ પણ એવું નહોતું . હકીકતે એ એક ચાલાક ખિલાડી હતો. આમ કરીને એને લોકો પર પ્રત્યક્ષ ને પરોક્ષ બંને રીતે કબ્જો કરી લીધો . એનું જાસૂસી તંત્ર એવું મજબૂત હતું કે એની સામે ષડયંત્ર રચવાની વાત તો દૂર રહી, એ વિષે ગણગણાટ પણ થતો બંધ થઇ ગયો.
રસપ્રદ વાત એ છે કે , કર ભરનાર હિન્દૂ હતા તો ઉઘરાવનાર પણ હિન્દૂ જ હતા. ખિલજીએ એમનો ગરાસ લૂંટી લીધો હતો એટલે એને લંપટ રાજવી ચિતરવાની શરૂઆત કરી, આ થઇ સ્ટોરીની એક બાજુ . જે ચોક્કસ વર્ગના ઇતિહાસકારો લેખાવે છે.
રાની પદ્મિનીનો જલમહાલ , આ નિર્માણ સમય સાથે મેળ નથી ખાતું , 13મી સદીના પ્રમાણમાં ઘણું નવું બાંધકામ છે. |
રાણી પદ્મિનીનું મનાતું ચિત્ર જે આજે પેરિસના મ્યુઝિયમમાં છે. |
બીજી તરફ છે રાની પદ્મિની . જેના જૌહરની કહાણી સહુ કોઈ વાકેફ છે તે પદ્મિની હતી સિંહદ્વીપ દેશના રાજા ગંધર્વસેન અને રાણી ચંપાવતીની , અલબત્ત, એક ઇતિહાસકારે એને ઉત્તર ગુજરાતની પણ લેખી છે. ક્યાં સિંહદ્વીપ એટલે કે આજનું શ્રી લંકા ને ચિતોડ એટલે રાજસ્થાન !! બંને વચ્ચેકડી સાધી આપનાર કોણ હોય શકે ? ઇતિહાસકારોના લેખન પ્રમાણે કોઈ ભાટચારણ નહીં બલ્કે એક પોપટ નામે હીરામણે , એ પોપટ હતો લવસ્ટોરીનો મેસેન્જર . પદ્મિની પાસે આ પોપટ હતો જે એની સાથે માનવબોલીમાં વાતચીત કરતો . પદ્મિનીના પિતાને એક દિવસ આ વધતી જતી ઘનિષ્ટતા પર ગુસ્સો ચઢ્યો એટલે મારવા માટે મારા મોકલ્યા. જેને જોઈને પોપટ ઉડી ગયો ને ઉડતો ઉડતો ચિતોડ પહોંચ્યો . પોપટને મોઢે પદ્મિનીના રૂપના વર્ણનથી મોહિત થયેલા રાજા રતનસિંહે (ભીમસિંહે) લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો ને લગ્ન થયા.
જો કે આ વાર્તા કોઈ હિસાબે ગળે ઉતરે એવી નથી પણ કહાની બાકી હૈ....લગ્ન તો ધામધૂમથી થઇ ગયા , રાણી ચિતોડ પધાર્યા. હવે કહાની મેં ટ્વિસ્ટ . રાજ દરબારમાં એક બ્રાહ્મણ હતો રાઘવ ચેતન, જેને રાજા સાથે કોઈક વાતમાં અણબનાવ થતાં દિલ્હી જઈને ખીલજી સામે પદ્મિનીના રૂપના વખાણ કરીને તેને ઉશ્કેર્યો ને એટલે ખિલજીએ ચિતોડગઢ પર હુમલો બોલી દીધો. એને પદ્મિનીને એકવાર જોવાની ઈચ્છા પ્રગટ કરીને , પ્રતિબિંબ જોઈને પદ્મિની લઈને જ જવી એવી હઠ લઇ બેઠો. પછી જે થયું એ ઇતિહાસ છે. એટલે કે ચિતોડ પર એટેકમાં મુખ્ય કારણ હતી પદ્મિની પણ વાસ્તવિકતા એ છે કે ખુદ ઇતિહાસ આ દંતકથાઓને માન્યતા નથી આપતો .
ઈ.સ 1303માં અલ્લાઉદીન ખિલજી દ્વારા થયેલી ચઢાઈમાં એક ઇતિહાસકાર કવિ સાથે હતા , અમીર ખુશરુ, એમને આ ચઢાઈનું વર્ણન તો કર્યું છે પોતાના પુસ્તક 'તારીખે અલાઈ' માં અને એમાં એક પ્રેમકથા તો છે, જે આ ખિલજીની નથી બલ્કે એ છે અલ્લાઉદીન ખીલજીના પુત્ર ખિઝરખાં અને દેવલ દેવીની કથા . એના પર એક અન્ય પુસ્તક પણ છે મનસવી ખિઝરખાં . અન્ય ઐતિહાસિક સંદર્ભ પ્રમાણે તપાસીએ તો દેવલદેવી સિંહલદ્વીપની જ છે. આ સિવાય અન્ય કોઈ જગ્યાએ કોઈ ઉલ્લેખ નથી .એ પછી અચાનક સો નહીં બસો નહીં ને ત્રણસો વર્ષે એટલે કે ઈ.સ 1540માં પદમાવત લખાયું છે. સહુ પ્રથમ એને હવા આપનાર હતા અકબરના ખાસ , જમણો હાથ લેખાનાર અક્બરનામાના લેખક અબુલ ફઝલ . એ પછી આવી કથા દંતકથાના આધાર લઈને અંગ્રેજ ઇતિહાસકાર જેમ્સ ટોડ પોતાના ઇતિહાસમાં આ સ્થાન આપે છે. જે હાલત મુગલે આઝમમાં થઇ તે જ હાલત પદ્માવતમાં થઇ છે.
ભટ્ટકાવ્યો, પ્રશસ્તિગાનો અને કાલ્પનિક ચારિત્ર્યકથાનો સહારો છે એક માત્ર આ પદ્માવત.
આ તો થઇ એક વાત , હવે બીજી વાત. તો એનો અર્થ એમ કે ખીલજી તો નેક, શરીફ, પાક ખુદાનો બંદો હતો ? એને માત્ર બદનામ કરવા માટે આ બધી ઘટનાઓ ઘડી કાઢવામાં આવી ?
જો મનમાં એવો વ્હેમ હોય તો અલ્લાઉદીન ખિલજી વિષે થોડું જાણી લેવા જેવું ખરું .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો